મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સરળ અને સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપકહિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
SOURCE : INTERNET


ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પારદર્શક અને સરળ પદ્ધતિ છે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજ્યના બધા જ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા માટે ગુજરાત સરકારે તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા નિર્ણય કર્યો  છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત વિગતો મીડિયા સમક્ષ આપતા જણાવ્યું કે આ યોજના હેઠળ અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું) જેવા કુદરતી પરિબળોથી પાકને થયેલ નુકશાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી તે અનુસાર


અનાવૃષ્ટિ

અનાવૃષ્ટિનું જોખમ જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.


અતિવૃષ્ટિ :

અતિવૃષ્ટિમાં તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ. જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.


કમોસમી વરસાદ (માવઠું) :

૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી.થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠાં) નું જોખમ ગણવામાં આવશે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી 

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી ખરીફ સિઝન (ચોમાસા) પૂરતી જ રહેશે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોને મળશે?

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા  અંગેની જાણકારી આપતા શ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે.


મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યોજનાનો લાભ રાજ્યના નાના, મોટા, સીમાંત બધા જ પ્રકારના ખેડૂતોને મળશે.


આ યોજના સરળ અને પારદર્શી છે. તેની ભૂમિકા અંગે સમજવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એસ.ડી.આર.એફના લાભો યથાવત રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ દરેક ખેડૂતોને આપવામાં આવશે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખરીફ ઋતુમાં વાવેતર કરેલ હોવું જોઈએ.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કેટલી સહાય મળશે?

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે રૂ. 20000/- પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં 60% થી વધારે પાક નુકશાન માટે રૂ.25000/- પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કેવી રીતે મળશે?

ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરવામાં આવશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.


લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નોનાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.8/- નું મહેનતાણું  ચુકવાશે. ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયાની જે માહિતી આપી તે મુજબ અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવશે. ઘટના બન્યાનો અહેવાલ સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે. 


રાજ્ય સરકાર (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના 7 દિનમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદીની મંજૂરીના હુકમો કરશે.


પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે 15 દિનમાં કરાવાશે.


સર્વે પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળા હુકમથી જાહેર કરશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 33% થી 60% અને 60%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર થશે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

Post a Comment

0 Comments