અડદની વૈજ્ઞાનિક ખેતીની સંપૂર્ણ માહિતી

કઠોળ એ મોટાભાગના ભારતીય લોકોના રોજીંદા ખોરાકનું પાયાનું ઘટક છે. કઠોળના વૈશ્વિક ઉત્પાદનમાં ૨૪ ટકાના યોગદાન સાથે આપણો દેશ મોખરે છે. તેમ છતાં ભારત દેશ દુનિયામાં સૌથી વધુ વપરાશકર્તા તથા આયાતકર્તા દેશ તરીકે પણ પ્રથમ છે. ભારતમાં અગત્યના ચોમાસુ કઠોળ પાક તરીકે તુવર, મગ અને અડદનું વાવેતર થાય છે જેમનો કુલ કઠોળ પાકોના ઉત્પાદનમાં અનુક્રમે 15, 7 તથા 7 ટકા હિસ્સો છે.

અડદની વૈજ્ઞાનિક ખેતીની સંપૂર્ણ માહિતી
SOURCE : INTERNET

અડદ ભારતમાં વાવેતર કરવામાં આવતા પાકોમાં સૌથી પ્રાચીન પાક છે. શાસ્ત્રો અનુસાર અડદનું વાવેતર ઇ.સ. 2200 વર્ષ પૂર્વેથી થાય છે. અડદ કઠોળ વર્ગનો અગત્યનો પાક હોવાથી તેના મૂળ ઉપરની ગાંઠોમાં સૂક્ષ્મ જીવાણુંઓ હવામાંના નાઇટ્રોજનને એકત્ર કરી જમીનને ફળદ્રુપ બનાવે છે તેમજ પશુઓને પૌષ્ટીક ચારો અને જમીનને સારૂ એવું સેન્દ્રિય તત્વ પૂરૂ પાડે છે. અડદના પાકમાં પોષક તત્વોનું મૂલ્ય છે તેમ કૃષિ વૈજ્ઞાનિક શંકરભાઇ ઝાલાએ જણાવ્યું હતું.

જમીનની તૈયારી

મધ્યમ કાળીથી ભારે જમીનમાં અડદ સારા થાય છે. તેમ છતાં આ પાક બધા પ્રકારની જમીનોમાં થઇ શકે છે. જો કે, ક્ષારવાળી જમીન બિલ્કુલ અનુકુળ નથી. અડદની વાવણી માટે હળની એક ખેડ કરી, 2 થી 3 વખત કરબ મારી જમીન તૈયાર કરવામાં આવે છે.

વાવણી સમય

ચોમાસાની શરૂઆત થતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં  જૂન અને જૂલાઇ અંત સુધી અડદની વાવણી કરી શકાય. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જુલાઇ માસના બીજા પખવાડિયા પછી ઓગસ્ટ માસના અંત સુધી વાવેતર કરવું. જયારે ઉનાળામાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી વાવણી થઇ શકે છે.કૃષિ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું કે, દેથલી કૃષિ કેન્દ્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડીયા, વણઝારીયા, કેવડિયા, અને પુનાદ્રા ગામમાં અંદાજીત 1000 એકર વિસ્તારમાં અડદની પી.યુ.31 જાતના અગ્ર હરોળ નિદર્શનો ગોઠવવામાં આવેલા છે.  જેના કાણે આજુબાજુના ગામોમાં આ જાતના અંદાજીત 200 થી 300 એકર વિસ્તારમાં આ જાતનો વાવેતર વિસ્તાર વધેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી દ્વારા આપવામાં ઓલ નિદર્શનોના પરિણામોના આધારે આ જાત ગુજરાત માટે  ખૂબજ આશાસ્પદ જાત છે.

બિયારણ અને અંતર

ચોમાસામાં આ પાકની સારી વૃધ્ધિ થતી હોઇ 12 થી 15 કિલો પ્રતિ હેક્ટરે બિયારણનો દર રાખી, બે હાર વચ્ચે 45 સે.મી.નું અંતર જાળવી વાવણી કરવી. જ્યારે ઉનાળામાં 20 થી 25 કિલો પ્રતિ હેક્ટર બિયારણનો દર રાખી, 20 થી 25 સે.મી.નું અંતર રાખી વાવણી કરવી. બિયારણને વાવણી પહેલાં 4 થી 5 દિવસ અગાઉથી 2 થી 3 ગ્રામ પારાયુક્ત દવાનો પટ આપવો ત્યારબાદ જ રાઇઝોબીયમ કલ્ચરની માવજત આપવી, માવજત આપ્યા બાદ તરત જ બીનો વાવણી માટે ઉપયોગ કરવો.

ખાતરનું પ્રમાણ અને મહત્ત્વ

સામાન્ય રીતે આપણા રાજ્યમાં મોટા ભાગના અડદ પાકનું વાવેતર બિનપિયત પરિસ્થિતિમાં અથવા મર્યાદિત પિયત આપીને કરવામાં આવે છે. તેથી જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 8 થી 10 ટન છાણિયું ખાતર નાખવામાં આવે તો જમીનની ફળદ્રુપતા સાથે ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. રાઇઝોબીયમ કલ્ચરની માવજત આપવાને કારણે પાકને બહારથી વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત ઓછી રહે છે. તેમ છતાં વાવણી વખતે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે એટલે કે 10 કિલો યુરીયા અને 85 કિલો ડીએપી રાસાયણિક ખાતરનો બધો જથ્થો જમીનમાં ઓરીને આપવો. જમીનમાં ગંધકની ઉણપ હોય તો 165 કિલો જીપ્સમ (ગંધક માટે) વાવણી વખતે ખેડ સાથે આપવું જોઇએ.
 
અડદની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
SOURCE : INTERNET

રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો

અડદ પાકના મૂળમાં વાવણી પછી 20 થી 25 દિવસે રાઇઝોબિયમ જીવાણુ મારફત મૂળગંડિકઓ બનવાની શરુઆત થાય છે. આ ગંડિકઓ દ્વારા હવામાં રહેલ નાઇટ્રોજન રાઇઝોબિયમ જીવાણું મારફત છોડના ખોરાક માટે જરૂરી નાઇટ્રોજનમાં રૂપાંતર અને સ્થાયીકરણ થાય છે. પરિણામે છોડની વૃધ્ધ અને વિકાસમાં નોધપાત્ર વધારો થાય છે.

પિયત વ્યવસ્થા

આ પાકને ચોમાસામાં પિયતની ખાસ જરૂર રહેતી નથી. પરંતુ જ્યાં અડદનો પાક મધ્યમ કાળી કે કાળી જમીનમાં વાવવામાં આવતો હોય ત્યાં આ જમીનની નિતાર શક્તિ ઓછી હોવાથી વધુ વરસાદ થાય છે ત્યારે ખેતરમાં પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ર્ન થાય છે. જે પાકની વૃદ્ધિમાં અવરોધ રૂપ બને છે. તેથી વધારે વરસાદ થાય ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉનાળામાં 12 થી 15 દિવસના સમયગાળે 4 થી 5 પિયત આપવા અડદમાં ફુલ બેસવાની અવસ્થા તથા શીંગોના વિકાસની અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ ન પડવી જોઇએ.

નિંદણ નિયંત્રણ

કોઇપણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડ, ખાતર, બિયારણ, પાક, સંરક્ષણ વગેરે પાછળ કરેલા ખર્ચનું વળતર મેળવવું હોય તો પાકને હંમેશાં નીંદણમુક્ત રાખવો જોઇએ, કારણ કે બિનપિયત ખેતીમાં જો નીંદણનો ઉપદ્રવ વધી જાય તો પાક માટે જમીનમાં રહેલ પોષક તત્વ અને ભેજનું બિન જરૂરી શોષણ નીંદણ દ્વારા થવાથી પાકને જરૂરી પોષક તત્વો અને પાણી ન મળવાથી ઉત્પાદનમાં સરેરાશ 33 ટકાનો ઘટાડો થાય છે.  અડદ પાકને વાવ્યા પછી 30 અને 45 દિવસે એમ બે વખતે આંતરખેડ કરી હાથથી નીંદણ કરવું.

આંતરપાક

અડદના પાકને તુવેર, મકાઈ, બાજરી અને કપાસના પાકની સાથે લઈ શકાય છે.

તુવેર સાથે અડદ

તુવેરનું 75 કે 120 સે.મી.ના અંતરે વાવેતર કરી તુવરની બે હાર વચ્ચે અડદની વહેલી પાકતી જાતની હાર કરવી જોઈએ.

મકાઇ સાથે અડદ

30 સે.મી.ના અંતરે મકાઇની બે જોડિયા હારો સાથે 60 સે.મી.ની પાટલીમાં અડદ ટી-9 જાતનું વાવેતર કરી શકાય છે.

બાજરી અને અડદ

3 કિલો બાજરી, 4 કિલો અડદ પ્રતિ હેક્ટરે મિશ્ર કરી વાવવાથી વધુ ઉત્પાદન તેમજ વળતર મેળવી શકાય છે.

અડદને કપાસ સાથે આંતર પાક તરીકે વાવણી કરવામાં આવે છે. કપાસના બે ચાસ વચ્ચે ત્રણથી ચાર ચાસ અડદના વાવવામાં આવે છે, જયારે તુવર સાથે આંતર પાક તરીકે બે હાર વચ્ચે  અડદ કરી આંતર પાક લઇ શકાય છે. આમ કરવાથી તુવરના ઉત્પાદનમાં ઘટાડો થયા સિવાય 2 થી 3 કિવન્ટલ અડદનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.

રોગ નિયંત્રણ

ભૂકી છારો રોગની શરૂઆત થયેથી 0.0015 ટકા  વેટેબલ ગંધક અથવા કાર્બેન્ડાઝીમ 0.025 ટકાના દ્રાવણના 12 દિવસના અંતરે છંટકાવ કરવો. પાનના ટપકાના રોગની શરૂ થયેથી 0.005 ટકા હેકસાકોનાઝોલ અથવા કાર્બેન્ડાઝીમ 0.025 ટકાના દ્રાવણના 12 દિવસના અંતરે છંટકાવ કરવો.

કાપણી

જયારે બધી શીંગો કાળા રંગમાં રૂપાંતરીત થાય ત્યારે (વાવણીના લગભગ 90 દિવસ બાદ) પાકની કાપણી કરવી જોઇએ.
ખેતી અને પશુપાલનની માહિતી

Post a Comment

0 Comments