જમીનમાં પાણી ભરાવાના કારણે ખેતીમાં થતું નુકશાન, તેના કારણો અને નિવારણ Khedut Help

પાકના મૂળ વિસ્તારની જમીન પાણીથી સંપૂર્ણપણે સંતૃપ્ત થાય, છીછરા ભૂગર્ભ જળ સ્તરને કારણે પાકના મૂળ પ્રદેશમાં પાણી ભરાઈ રહે, જમીન પાણીમાં પુરેપુરી ડુબી જાય કે રેલ અથવા પુરગ્રસ્ત સ્થિતિ સર્જાય ત્યારે જમીનમાં હવાનું પ્રમાણ ઘટી જવાથી જમીનની ઉત્પાદકતા ઘટી જાય છે. આપણા દેશમાં 17 રાજયોની કુલ 143 લાખ હેકટર જમીનમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે. ગુજરાતમાં લગભગ 5 લાખ હેકટર વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે.
Damage to agriculture due to irrigation of land Its causes and prevention
SOURCE : INTERNET

છેલ્લાં વર્ષોમાં માળખાકીય સુવિધાઓનો આડેધડ વિકાસ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ વિગેરેને કારણે પાણી નિકાલની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો થયેલ છે. ભૌગોલિક ભૂ રચના ઉપરાંત ભારે વરસાદ, પિયત પાણીનો બેફામ વપરાશ, જમીન વ્યવસ્થાપનમાં નિષ્કાળજી વગેરેને લીધે જમીનમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે. આપણા રાજ્યમાં વરસાદની અછતની પરિસ્થિતિને અનુલક્ષીને જળ સંગ્રહના ખૂબ જ સારા કાર્યો થયા છે. પરંતુ વૈશ્વિક ઉષ્મિકરણને કારણે વરસાદનું પ્રમાણ વધ્યું છે, તેમાંય ભારે વરસાદના બનાવો વધ્યાછે. જેથી અમુક વિસ્તારોમાં ટૂંકા સમયગાળા માટે અને અમુક નીચાણવાળા વિસ્તારોમાં લાંબા સમયગાળા સુધી પાણી ભરાય છે. આવા વધારાના પાણીના નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવી પડશે.

(A) પાણી ભરાવાના કારણો

મુળભૂત રીતે ભૂગર્ભ જળ સ્તર પાકના મૂળપ્રદેશ સુધી ઊંચા આવવાથી પાકના વૃદ્ધિ અને વિકાસમાં વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણો નીચે મુજબ છે.

ઘનિષ્ઠ અને વધુ પડતુ પિયત

ઘનિષ્ઠ પિયત પદ્ધતિમાં સતત અને વધુ પડતાં પિયતને કારણે જમીનમાં પાણી ઊંડે ઉતરવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચે આવે છે. ખાસ કરીને નહેર વિસ્તારમાં આ સમસ્યા વધારે રહે છે.

નજીકના વિસ્તારમાંથી પાણીનું ઝમણ

નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાંથી પાણી રીજવાથી નીચાણવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે છે.

નહેર અને જળ સંગ્રહાલયોમાંથી પાણીનું ઝમણ

નહેર વિસ્તારમાં પાણી ભરાવાનું આ મુખ્ય કારણ છે. નહેર અને જળ સંગ્રહાલયોના તળિયા અને પાળામાંથી પાણીનું જમણ થવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે. નહેર અને જળ સંગ્રહાલયોની જમીન વધુ વાહક હોય ત્યારે આ જમણ વધુ પડતું થાય છે.

જમીનમાંથી પાણીનો ધીમો નિકાલ

પાણી ભરાઈ રહેવા કે ઉંડા ડુબાણનો સમયગાળો અને તીવ્રતા ફક્ત પાણીની આવક પર આધારિત નથી. પરંતુ પાકના મૂળપ્રદેશમાંથી વધારાના પાણીનો નિતાર દર અને જમીન ભેજ સંગ્રહ શક્તિ પર પણ આધાર રાખે છે. દેખીતી રીતે ઢાળવાળી જમીન કરતા સપાટી જમીનમાં નિતાર દર ધીમો હોય છે. જમીનમાં ઉર્ધ્વ નિતારની અસર નિર્ણાયક હોય છે, જે જમીનના બાંધા અને પોત પર આધારિત હોય છે. જમીનમાં કેટલું પાણી રહે અને કેટલું નિતરે તેનો આધાર જમીનની કુલ છિદ્રાળુતા, સૂક્ષ્મ તથા મોટા છિદ્રોનું પ્રમાણ, તેનું આંતર જોડાણ તથા સ્થિરતા અને માટીના વિવિધ માપના કણોના સાપેક્ષ પ્રમાણ પર રહે છે. મોટા છિદ્રો કરતા સૂક્ષ્મ છિદ્રો પાણીને વધુ સખત રીતે જકડી રાખે છે. 50 માઈક્રોમીટર કરતાં મોટા છિદ્રમાંથી પાણીનો નિતાર ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે, જેથી ખાલી છિદ્રમાં હવા પ્રવેશી શકે છે અને મૂળને ફેલાવવા માટે જગ્યા મળી રહે છે. રેતાળ જમીન કરતાં માટીયાળ જમીનમાં સૂક્ષ્મ છિદ્રાળુતા વધારે હોવાથી નિતારશ ઓછી હોય છે. માટીયાળ જમીન છિદ્રાળુતા અસ્થિર હોવાથી ખાલી છિદ્રમાં હવા પ્રવેશી શકતી નથી. ઉપરાંત ઓછી આંતર-જોડયુક્ત છિદ્રાળુ તેને લીધે માટીયાળ જમીન માં જળ વાહકતા ઓછી હોવાથી નિતાર ધીમો હોય છે. જો કે માટીયાળ જમીનમાં તિરાડો પડવાની લાક્ષણિકતા હોવાથી ઊંડો નિતાર થઈ શકે છે. અળસિયાના દર અને પાકના મૂળના કોહવાણ થવાથી નિતાર દર સુધરે છે. જમીનના કણોના સમૂહ બનવાની લાક્ષણિકતાને લીધે તેની વચ્ચે પ્રમાણમાં પહોળી નળી બનવાથી નિતાર દર વધે છે. જમીનનો નિતાર પરોક્ષ રીતે અંતઃજમીનની જળ વાહકતાથી અસર પામે છે.

જમીનમાં અવાહક સખત પડનો અવરોધ

ખેતીમાં ભારે મશીનરી ઉપયોગથી અને સતત છીછરી ખેડને કારણે મધ્યમથી ભારે કાળી જમીનમાં અમૂક ઊંડાઈએ અવાહક પડ (ધડો) બને છે. જેનાથી સારી નિતારશકતિ ધરાવતી ઉપલી જમીનમાં સંતૃપ્તતા અને પાણી ભરાઈ રહે છે. જમીનમાં પાણીના ઝમણની ગતિ દિશા આડી કે બાજુ હોય છે. અવાહક સખત પડને લીધે આ દિશા અવરોધાય જેથી તેની આગળની બાજુ ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે અને પાણી ભરાઈ રહે છે. તેવી જ રીતે અમૂક કિસ્સામાં ખૂબ સારી વાહક જમીન નીચેના અવાહક સ્તર ને લીધે પાણીનું અનુશ્રવણ ઊંડુ ન થવાથી જળ સ્તર ઊંચું આવે છે.

કુદરતી નિતાર વ્યવસ્થાનો અભાવ

ઢાળરૂપી કુદરતી નિતાર પુરતુ ન હોય તો નીચે ઓછી વાહકતાવાળું માટીયાળ સ્તર ધરાવતી સારી વાહકતાવાળી ઉપલી જમીનમાંથી પાણીનો નિતાર ઊંડે સુધી થઈ શકતો નથી, જેનાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે, જે પાકના મૂળ વિસ્તાર અને ખેતી કાર્યોને અસર કરે

સપાટી પરનો અપુરતો નિતાર

વધારાના પાણીના નિકાલ માટે સપાટી પરનો નિતાર ખૂબ જ મહત્વનો છે. ભારે વરસાદ કે વધુ પડતાં પિયતને વધારાનું પાણી દૂર કરવું જરૂરી છે. તેનું જમીનમાં અનુશ્રવણ થવા દેવું જોઈએ નહીં. સપાટી પરના યોગ્ય નિતારની ગેરહાજરીથી આ વધારાના પાણીનું જમીનમાં ઊંડે સુધી સતત અનુશ્રવણ થવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે.

પાણીની વધતી જતી આવક

પાણીની આવકના પ્રમાણમાં નિતાર ઓછો હોય ત્યારે જમીનમાં પાણી ભરાય છે. વિશ્વના અનેક ભાગોમાંથી અહેવાલ મળે છે કે પાણીની આવકમાં વધારો થતો જાય છે જેનું એક કારણ આબોહવા પરિવર્તન હોઈ શકે. છેલ્લા વર્ષથી વૈશ્વિક ઉદ્ધિકરણ થયું છે. તેના લીધે સમુદ્ર સપાટી પરથી બાષ્પિભવન વધારે થવાથી વરસાદનું પ્રમાણ વધ્યું છે તેમજ ભારે વરસાદના બનાવો વધ્યા છે. બરફ ઓગાળવાથી નદીમાં પાણીની આવક વધી છે, જેથી નીચાણવાળા વિસ્તારોની ફળદ્રુપ જમીનમાં રેલ કે પુર ફરી વળવાની શક્યતા વધી છે. જેનાથી માનવ જીવન અને માલ-મિલકતને નુકસાન થવા સાથે નબળી રીતે સ્થાયી થયેલા વનસ્પતિ ખાસ કરીને ખેતી પાકોના વિનાશ સર્જાય છે. સ્થાનિક રીતે ઉત્પાદિત ખોરાક પર આધાર રાખતો અલ્પવિકસિત અને વિકસતી દેશોના લોકોનો જીવન નિર્વાહ પર ખેતર ઉભો થાય છે. 

સામાન્ય રીતે શહેરોમાં વધુ વરસાદથી પાણી ભરાતાં હોય છે. ખેતરોમાં પણ વરસાદના ભારે ઝાપટાથી પાણી ભરાય છે. જો કે ભારે વરસાદને લીધે ટૂંકા સમયગાળા માટે પાણી ભરાય છે, પરંતુ જો સારી નિતાર વ્યવસ્થાનો અભાવ હોય તો સમગ્ર વિસ્તારમાં સતત રીતે પાણી ભરાઈ રહે છે. નીચાણવાળી જમીનોનું ખેતીની જમીનમાં રૂપાંતર થવાથી પણ પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન સર્જાય છે.

નીંદણ અને જલીય વનસ્પતિઓની વધુ પડતી વૃદ્ધિ

ચોમાસા દરમિયાન કુદરતી પાણી નિકાલના માર્ગમાં નીંદણ અને ઘાસ ઉગી નીકળતાં પાણીનો પ્રવાહ અવરોધાય છે. જો પુરના લીધે જમીન સતત ડૂબી રહે તો જલીય વનસ્પતિ જેવી કે જળકુંભી, ઘાસ અને નિંદણ ઉગી શકે છે, જેથી કુદરતી સપાટી પરના નિતારમાં અવરોધ ઊભો થાય અને પાણી ભરવાની શક્યતા વધે.

અનિયમિત અથવા સપાટ ભૂરચના

જમીન ઉપરની સપાટીની ભૂ રચના પાણીના કુદરતી નિતારને અસર કરે છે. વધુ ઢાળ ધરાવતા પ્રદેશમાં પાણીનો નિતાર ઝડપથી થાય છે. જયારે એકદમ સપાટ કે ઉબડખાબડ સપાટી ધરાવતા નીચાણવાળા પ્રદેશમાં નિતાર ખૂબ જ ઓછો હોય છે. જેથી જમીન પર પાણી વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી રોકાઈ રહે છે તેમજ પાણીના ઊંડે સુધી અનુશ્રવણ થતા ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે. પિયત આપવા માટે જમીન એકદમ સમતળ કરવામાં આવે તો વધારાના પાણીના નિકાલ ન થઈ શકવાથી પાણી ભરાઈ રહે છે.

(B) જમીનમાં પાણી ભરવાને કારણે ખેતીમાં થતું નુકશાન

પાણી ભરાવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ બગડે છે, જેના લીધે જમીનની ઉત્પાદકતા ઘટે છે. જમીન પર પાણી ભરાઈ રહેવાથી છોડની દેહ ધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે. વધારે સમય પાણી ભરાઈ રહેવાથી ક્યારેક પાક બળી પણ જાય છે.

પોષક તત્વોના રૂપાંતરણની પ્રક્રિયામાં અવરોધ

જમીનમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો પોષક તત્વોનું છોડને ઉપલબ્ધ થઇ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આવા સૂક્ષ્મ જીવોના અસ્તિત્વ માટે ઓક્સીજન જરૂરી છે. પાણી ભરાવાથી જમીનમાં હવાનું પ્રમાણ ઘટવાથી ઓક્સિજન ઘટે છે. પરિણામે સુક્ષ્મજીવોની વસ્તી અને કાર્યશીલતા ઘટે છે. જેથી ઉત્સેચકો અને પોષક તત્વોની રૂપાંતરણ પ્રક્રિયા પર માઠી અસર થાય, નાઈટ્રોજન સ્થિરીકરણ અટકે, પર્ણ વિસ્તાર અને પ્રકાશસંશ્લેષણ ઘટે, છોડમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયામાં અવરોધ થાય અને તેથી છોડની વૃદ્ધિ ઓછી થાય છે. પાણી ભરાવાથી જમીનમાં ઝેરી તત્વો એકત્રિત થાય છે. આપણા વિસ્તારમાં વવાતા પાકો માટે ભાગે પાણી ભરાઈ રહેવાની પરિસ્થિતિ સામે પ્રતિકારક શક્તિ ધરાવતા ન હોય ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય છે. બીજનો ઉગાવો, પાકની શરૂઆતની વૃદ્ધિ ફૂલ અને દાણા ભરવાની અવસ્થા પાણી ભરાવાની પરિસ્થિતિ સામે ખૂબ જ સંવેદનશીલ છે. પાણી ભરાવાથી મૂળનો કહોવારો રોગ નું પ્રમાણ વધે છે.

મોડા ખેત કાર્યો

ભીની જમીનમાં સામાન્ય ખેત કાર્યો જેવા કે ખેડ, વાવણી, આંતરખેડ, પાળા ચડાવવા, પાક સંરક્ષણ, કાપણી, લણણી વગેરે સહેલાઈથી થઈ શકતા નથી. જમીન પર પાણી ભરવાની પરકાયા પરિસ્થિતિમાં ખેત કાર્યો કરવાનું અશક્ય બને છે. આમ, વાવણી તથા અન્ય ખેતી કાર્યો સમયસર ન થવાને લીધે પાછળથી આ કાર્યો પાછળ વધુ ખર્ચ થાય તેમજ પાકનું ઉત્પાદન ઘટે અથવા ખૂબ જ ઓછું મળે છે, જેથી ચોખ્ખું વળતર ઘટે છે.

નીંદણોની અનિયંત્રિત વૃદ્ધિ

પાણી ભરાઈ રહેતી જમીનમાં અમુક જલીય વનસ્પતિ, ઘાસ, નીંદણ વગેરેનો ખૂબ જ વૃદ્ધિ થાય છે, જેથી ખેતી પાકોની વૃદ્ધિ અવરોધાય છે.

જમીન ક્ષારીય થવા માટે મુખ્ય કારણભૂત

ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવવાથી જમીનમાંથી સૂક્ષ્મ કેશવાહીની મારફતે પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, જેથી ભૂગર્ભ જળસ્તરમાંથી ઉપરની તરફ પાણીના પ્રવાહીની દિશા પ્રસ્થાપિત થાય છે. આ પાણી પ્રવાહ સાથે જમીનમાં રહેલ ક્ષાર પણ ભળે છે. પાણીનું વાતાવરણમાં બાષ્પીભવન થતાં ક્ષાર પાકના મૂળ પ્રદેશમાં અને સપાટી પર જમા થાય છે. મૂળ પ્રદેશમાં ક્ષાર વધતા પાકના મૂળ જમીનના દ્રાવણમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરી શકતા નથી, જેથી પાકની વૃદ્ધિ રૂંધાય છે. આવી જમીનને ક્ષારીય જમીન કહેવાય છે. આમ, પાણીનો ભરાવો ક્ષારીય જમીનમા પરિણમે છે અને તેથી પાક ઉત્પાદન ઘટે છે. પાણીનો ભરાવો અને ક્ષારીયતા એકી સાથે થતા હોય, યુગ્મ સમસ્યા તરીકે ગણવામાં આવે છે. પાણી ભરાયા બાદ જમીનમાં ક્ષારીયતા થાય છે.

(C) જમીનમાં પાણીના ભરાવાનું નિવારણ 

દેખીતી રીતે ભૂગર્ભ માં ઉતરતો પાણીનો જથ્થો અને તેનો માર્ગ નિયંત્રિત કરી ઘટાડવામાં આવે તો પાણીની ભરાવાને નિયંત્રિત કરી શકાય. આ માટે પ્રથમ તો ભૂગર્ભ જળ સ્તરમાં થતી પાણીની આવક ઓછી કરવી પડે. સાથોસાથ તેમાંથી પાણીની જાવક વધારવી પડે. પાક ઉત્પાદન માટે જમીનની સપાટીથી નીચે ઓછામાં ઓછી 3 મીટર ઊંડાઈ સુધી ભૂગર્ભ જળસ્તર જાળવવું ખૂબ જ જરૂરી છે.

પાણી ભરવાને નિયંત્રિત કરવાના ઉપાયો

નહેર અને પાણીના સ્ત્રોતોમાં લીંપણ કરવું

Damage to agriculture due to irrigation of land Its causes and prevention
SOURCE : INTERNET

નહેર અને પાણીના સ્ત્રોતોમાંથી થતું જમણ ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં મુખ્યત્વે જવાબદાર હોય તે અટકાવવું જરૂરી છે. જે તળીયામાં તથા બાજુની દિવાલમાં લીંપણ કરવાથી થઈ શકે છે. પાણી ભરવાને નિયંત્રિત કરવાની આ અસરકારક રીત છે.

પિયતની તીવ્રતામાં ઘટાડો કરવો

જ વિસ્તારમાંથી ભરાવાની શક્યતા હોય ત્યાં પિયતની તીવ્રતામાં ઘટાડો કરવો જોઈએ. એક ઋતુમાં જમીન વિસ્તારના ચોક્ક્સ ભાગમાં નહેરથી પિયત કરવું જોઈએ. ત્યાર પછીની ઋતુમાં બાકીના વિસ્તારમાં એમ વારાફરતી રીતે પિયત કરવું જોઈએ. પાક ફેરબદલી અપનાવવાથી આ રીતે પિયત ની તીવ્રતામાં ઘટાડો કરી શકાય.

પાકની ફેરબદલી કરવી

ભૂગર્ભમાં પાણીની આવક નિયંત્રિત કરવા માટે પાકની ફેરબદલી અસરકારક ઉપાય છે. અમુક પાકોને પાણીની જરૂરીયાત વધુ તો અમુક પાકને ઓછી હોય છે. જો જમીનમાં હંમેશા પાણીની વધુ જરૂરિયાત વાળા પાકો વાવવામાં આવે તો પાણી ભરાવાની શક્યતા વધે છે. આમ ન થાય તે માટે પાણીની વધુ જરૂરિયાતવાળા પાક પછી ઓછી જરુરિયાતવાળા પાક વાવવા જોઈએ. અમુક વિસ્તારમાં પિયતની જરૂરિયાત બિલકુલ રહેતી ન હોય તેવા પાક પણ પસંદ કરી શકાય. દા.ત. ઘેડ વિસ્તારમાં ચણા અને ભાલ વિસ્તારમાં ઘઉં.

પાણીનો યોગ્યતમ ઉપયોગ કરવો

કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. પાકની સારી ઉત્પાદકતા માટે અમુક ચોક્કસ પ્રમાણમાં પાણીની જરૂરીયાત હોય છે. આમાં ફેરફાર કરવાથી ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતનું ખીચું પણ ખાલી થાય છે. અમુક વિસ્તારોમાં એવી માન્યતા હોય છે કે વધુ પિયત આપવાથી ઉત્પાદન વધુ મળે છે. ખાસ કરીને પાણીનો ચાર્જ ઓછો હોય, નહેરના પાણીનો અચોક્કસ પુરવઠો કે કુવાના પિયતની બાબતમાં વીજળી અનિયમિતતા હોય તેવા વિસ્તારોમાં આવું વધારે બનતું હોય છે. ખેડૂતોને યોગ્ય વિસ્તરણ પદ્ધતિ દ્વારા શિક્ષિત કરવામાં આવે તો આમાં સુધારો આવી શકે. નીતિ વિષયક બાબતે પાણીનો ચાર્જ એકમ વિસ્તાર મુજબ નહી પરંતુ પાણીના જથ્ઠાના વપરાશ મુજબ હોવો જોઈએ.

ઝમણ આંતરક નિતાર કરવા

નહેરમાંથી થતાં પાણીના ઝમણને અટકાવવા આવા નિતાર કરવા. જરૂર જણાય ત્યાં નહેરને સમાંતર ઝમણ આંતરિક નિતાર બાંધી શકાય, જે નહેરમાંથી થતાં પાણીના ઝમણને આંતરી આગળના વિસ્તાર સુધી પહોંચતા અટકાવે છે અને તેથી પાણી ભરાતું અટકાવી શકાય છે.

કુદરતી નીતાર સુધારવો

પાક હેઠળના વિસ્તારમાં જર્જરીત થયેલ કુદરતી નીતાર વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવી જોઈએ જેનાથી પાણી વધુ સમય ભરાઈ ન રહેવાથી ઊંડે સુધી અનુશ્રવણ થતું નથી. સામુહિક ધોરણો કુદરતી વહેણ માર્ગમાંથી અંતરાયો દૂર કરવાથી આ બાબતે અમુક અંશે રાહત મળી શકે છે. ઝાડ-ઝાંખરા અને અન્ય અંતરાયો દૂર કરવા તેમજ કુદરતી નિતાર માર્ગનો ઢાળ સુધારવો જોઈએ.

અસરકારક નિતાર વ્યવસ્થા કરવી

ભારે વરસાદનું પાણી અને પિયત વધારાના પાણીનો નિકાલ માટે અસરકારક નિતાર વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. સારી નિતાર વ્યવસ્થામાં સપાટી પર નિતાર અને ભૂગર્ભ નિતારનો સમાવેશ થાય છે. જરૂર જણાય તો કૂવા કે બોર દ્વારા સિંચાઈ કરી ભૂગર્ભ જળ સ્તર નીચે લાવી શકાય.

સપાટી ઉપરના અને ભૂગર્ભજળનો સંયોગાત્મક ઉપયોગ

મહત્તમ લાભ મેળવવા માટે નહેરનું પાણી અને ભૂગર્ભ જળના વિવેકપૂર્વક સંયુક્ત ઉપયોગને સંયોગાત્મક ઉપયોગ કહેવાય. નહેર વિસ્તારમાં જયાં પાણીના તળ ઉંચા આવતા હોય ત્યાં સિંચિત પિયત કરવાથી ભૂગર્ભ જળ સ્તર નીચે લાવી શકાય. આ પદ્ધતિમાં પિયત માટે સપાટી પરના પાણીના ભૂગર્ભ જળ સાથે ઉપયોગ કરવામાં આવે છે. નહેરમાંથી થતાં જમણને લીધે ઊંચા આવતા ભૂગર્ભ જળ સ્તરને અટકાવવા માટે સંયોગાત્મક ઉપયોગ પધ્ધતિ અપનાવવી જોઈએ.

પાણીના કાર્યક્ષમ ઉપયોગ કરતી પિયત પદ્ધતિઓઅપનાવવી

સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી કે ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય અને પાણી ભરવાની સમસ્યા નિવારી શકાય. રેલાવી પિયત આપવાની પદ્ધતિમાં પણ લાંબા ગાળે વધુ જથ્થામાં પિયત આપવાને બદલે ટૂંકા ગાળે ઓછી માત્રામાં પિયત આપવાં. ક્યારાની લંબાઈ વધુ ન રાખવી. શકય હોય તો નીકપાળા કે એકાંતરા ચાસમાં પિયત આપવા. પાણીના વાહન માટે કાચા ધોરિયાને બદલે પાઈપ લાઈનનો ઉપયોગ કરવો.

જમીનનું અંદરનું સખત પડ તોડવું

ઘણી વખત જમીનની અંદરના સખત પડને કારણે પાણીનો નિતાર થતો નથી. આવવા સખત પડને ઊંડી ખેડ કે સબસોઈલિંગ કરી તોડવું જોઈએ જેથી વધારાનું પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે.

પાણી ભરાવાની પરિસ્થિતિમાં ટકી શકે તેવા પાક અને તેની જાતોનું વાવેતર કરવું

અમૂક પાકોમાં પાણી ભરવાની પરિસ્થિતિમાં ટકી રહેવા જનીનિક ક્ષમતા હોય છે. કઠોળ પાકો કરતા ધાન્ય પાક વધુ પ્રતિકારક હોય છે. ધાન્ય પાકોમાં મકાઈ ઓછી, બાજરી મધ્યમ અને જુવાર વધુ પ્રતિકારક છે. કઠોળ પાકોમાં વાલ વધુ પ્રતિકારક છે. તેવી જ રીતે પાક અમૂક જાત વધુ પ્રતિકારક હોય છે. દા.ત. મકાઈ ની ગંગા-2 જાત અન્ય જાતો કરતાં વધુ પ્રતિકારક છે.

પાળા અને ગાદી કયારામાં વાવેતર કરવું

ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ છીછરા હોય ત્યારે પાકનું વાવેતર નીકપાળા કે ગાદી ક્યારા પર કરવું જોઈએ. જેથી પાકના મૂળને પૂરતો ઓક્સિજન મળી રહે અને નીક વાટે વધારાના પાણીનો નિકાલ થાય.

ખાતરોનો ઉપયોગ કરવો

Damage to agriculture due to irrigation of land Its causes and prevention
SOURCE : INTERNET

પાણી ભરાઈ રહે ત્યારે પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા ન હોવાથી યોગ્ય સમયે ખાતર આપવાથી પાકની વૃદ્ધિ થાય છે. પાન પર છંટકાવ કરવાથી પણ સારું પરિણામ મળે છે.

વાવણી સમયમાં ફેરફાર કરવો

અગાઉના વર્ષોનો અનુભવ તેમજ જે તે પાકની પાણી ભરાવાની પરિસ્થિતિ સામે સંવેદનશીલ અવસ્થા ધ્યાનમાં રાખી વાવણી સમયમાં યોગ્ય ફેરફાર કરી શકાય.

જમીન સમતળ કરવી અને વિભાજન કરવું 

ખાડા-ટેકરા વાળી જમીન સમતળ કરી યોગ્ય ઢાળ આપવાથી પાણી જમીનમાં ફેલાઈ જાય, સહેલાઈથી જમીનમાં ઉતરી શકે અને વધારાના પાણીનો ખેતર બહાર નિકાલ થઈ શકે છે. જમીન વિસ્તાર ખૂબ જ વિશાળ હોય તો નાના ટુકડામાં વિભાજન કરી દરેક ટુકડામાં પાણીના નિકાલ માટે નિતાર પૂરો પાડવો.

જમીન સુધારણા કરવી

સમસ્યાયુક્ત જમીનની નિતારશકતિ ઓછી હોય છે તેથી ક્ષારીય તેમજ ભાસ્મિક જમીનને યોગ્ય પદ્ધતિથી નવસાધ્ય કરવી. ભારે કાળી જમીનમાં ટાંચ અને સેન્દ્રિય ખાતર ઉમેરવા. શક્ય હોય તો લીલો પડવાશ કરવો.

ખેત વનીકરણ કરવું

ઊંડા મુળવાળા વૃક્ષો વાવવાથી ભૂગર્ભ જળસ્તરમાંથી પાણીનું જૈવિક સિંચન કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવતું અટકાવી શકાય.

© આ પોસ્ટની લિંક તમે કોઈપણ સોશ્યલ મીડિયામાં શેયર કરી શકો છો પરંતુ આ પોસ્ટને તમે કોપી કરીને તમારી વેબસાઈટ પર પોસ્ટ કરી શકતા નથી. જો કોઈ બ્લોગ/વેબસાઈટ પર કોપી કરેલ પોસ્ટ ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Post a Comment

0 Comments